ગુજરાતી સિનેમાને વધુ એક ઝટકો, ફેમસ એક્ટર અરવિંદ રાઠોડનું નિધન, ચાહકોમાં દુઃખની લાગણી
ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. અરવિંદ રાઠોડ ફોટોજર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ મોટાભાગે વિલનનો રોલ પ્લે કરતા હતા.
70ના દાયકામાં કરિયર શરૂ કરી અરવિંદ રાઠોડે 70ના દાયકામાં એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમણે ‘જ્હોની ઉસકા નામ બદનામ ફરિશ્તે’, ‘મહાસતી સાવિત્રી’, ‘કોરા કાગઝ’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોન કંસારી’, ‘સલામ મેમસાબ’, ‘ગંગા સતી’, ‘મણિયારો’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.
છેલ્લે 2018માં જોવા મળ્યા હતા:-અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ 2018માં ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયુ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી
ઘૂંટણના ઓપરેશન વખતે પરિવારના કોઈ સભ્યો હાજર નહીં:-2015માં અરવિંદ રાઠોડે તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન અમદાવાદમાં કરાવ્યું હતું. આ સમયે તેમના પરિવારના કોઈ સભ્યો હાજર રહ્યાં નહોતા. ગાંધીનગરમાં શો દરમિયાન તેમને પરિસ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. આથી જ તેમણે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું.
23 જૂન, 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક ‘મારી તો અરજી, બાકી તમારી મરજી’ દરમિયાન તેમણે 12 પેઇનકિલર ગોળીઓ ખાઈને નાટક ભજવ્યું હતું. તેમને પગ વળી જતા હતા. દર્શકોને એવું હતું કે અરવિંદ રાઠોડના પાત્રની ચાલ એવી છે, પરંતુ વાસ્તવમાં અરવિંદ રાઠોડ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નહોતા. જોકે, તેમણે સવા બે કલાકનું નાટક પૂરું કર્યું અને પછી સીધા ડોક્ટર પાસે ગયા હતા.
ડોક્ટરે એક્સરે કરાવીને તાત્કાલિક એડમિટ કર્યાં. વિવિધ જાતના 22 રિપોર્ટ કરાવ્યા અને પછી બીજા દિવસે સવારે બંને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું હતું. તેમના ઘૂંટણ 80% જેટલાં ખરાબ થઈ ગયા હતા. તેમની સાથે તેમના પત્ની પદ્મારાણી સાથે હતા, પરંતુ તેમને મુંબઈ રવાના કરી દીધા અને ઓપરેશનની પાંચ મિનિટ પહેલાં જ તેમને ફોન કર્યો હતો. આ રીતે અરવિંદ રાઠોડે ઓપરેશન દરમિયાન તેમના પત્ની કે પરિવારના અન્ય કોઈ પણ સભ્યને સાથે રાખ્યા નહોતા.
અમદાવાદમાં સંબંધીને ત્યાં રહ્યા હતા:-ઓપરેશન બાદ અરવિંદ રાઠોડ થોડાં દિવસ સુધી પોતાના એક નિકટના સંબંધીને ત્યાં રહ્યાં હતાં. અહીંયા આરામ કરીને પછી તેઓ મુંબઈ ગયા હતા